gujarati

વડોદરા: MSUના 66માં પદવી સમારોહમાં રાષ્ટ્રપતિ આવશે

Webdesk | Friday, January 5, 2018 9:02 AM IST

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીના 66મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેનાર છે ત્યારે વીવીઆઇપીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાજ્યના ગવર્નર સહિત મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ડાયસ સહિતની બેઠક વ્યવસ્થાનો ડ્રાફટ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરીને ગાંધીનગર તથા અધિક કલેકટર, પ્રોટોકોલને મોકલી દેવામાં આવ્યો છે. જોકે ફાઇનલ પ્લાન રાષ્ટ્રપતિ ભવનના પ્રોટોકોલ વિભાગમાંથી તૈયાર થઇને આવશે. યુનિવર્સિટીનો 66મો પદવી સમારોહ આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. પદવી સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેવાના હોવાથી વીવીઆઇપીની સંખ્યામાં વધારો થશે તેવી શક્યતાઓ છે. રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ માટે દીક્ષાંત સમારોહ નજીક આવેલા સયાજી ભવન ખાતે ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ માટે વિશેષ રૂપે તૈયાર કરાનાર ગ્રીન રૂમમાં તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે.